Sunday, 8 June 2025

સમર વેકેશન વર્કશોપ '25

સમર વેકેશન વર્કશોપ '25 

      વિદ્યાર્થીઓને ભારતીય ભાષા શીખવા માટે પ્રોત્સાહિત કરવા તથા સાંસ્કૃતિક એકતાનો અનુભવ કરાવવા ભારતીય ભાષા સમર કેમ્પ તથા કૌશલ્ય કાર્યશાળાનું આયોજન સી.આર.સી.નાપા કન્યાની એક્તાનગર પ્રા.શાળામાં રોટરી કલબ, બોરસદ (સન સીટી)ના સહયોગથી શરૂઆત કરવામાં આવી. જેમાં ડાયટ વલાસણના સિ.લે. ડોં.મીરાબેન જાદવ, રોટરી કલબ, બોરસદના હેમંતભાઈ મહિડા, ચિરાગભાઈ મહેશ્વરી, યોગ એક્સપર્ટ ડો. સોનિયા પંજાબી, કરાટે એક્સપર્ટ પૃથ્વીરાજ, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા 75 થી વધુ બાળકો અને શાળાના શિક્ષકોએ હાજરી આપી હતી.


       પ્રાર્થના અને યૌગિક ક્રિયાઓથી શરૂ કરાયેલા ચાર દિવસીય વર્કશોપના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર મહેમાનોનું બાળકોના હસ્તે પુસ્તકથી સ્વાગત કરાયું હતું. સૌના સ્વાગત બાદ મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ ચાર દિવસીય વર્કશોપમાં યોજાનાર પ્રવૃત્તિઓ અને જોડાયેલી સંસ્થાઓનો પરિચય આપ્યો હતો. હાજર મહાનુભાવો પૈકી સિ.લે.ડોં.મીરાબેન જાદવ અને રોટરી કલબ, બોરસદના હેમંતભાઈ મહિડાએ શાળામાં ચાલતા વર્કશોપ અંતર્ગત થતી પ્રવૃત્તિઓને બિરદાવી બાળકોને સમય સાથે કદમ મિલાવી આગળ વધવા અનુરોધ કર્યો હતો. બોરસદ તાલુકાના લિયેઝન ડોં.મીરાબેન જાદવે ભાષાની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંસ્કૃતિની વિશેષ વાતો રજૂ કરી બાળકોને ઈનામોથી નવાજ્યા હતા. 


      શાળાની પ્રવૃત્તિઓમાં સહભાગી થનાર એક્સપર્ટ ધ્વારા બાળકોને ભારતીય ભાષા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ સાથે યોગ, સ્કેટિંગ, દેશી રમતો, કરાટે, ભરતગૂંથણ નિઃશુલ્ક શીખવવામાં આવશે. વર્કશોપમાં હાજરી આપનાર બાળકોને રોટરી કલબ, બોરસદ (સન સીટી) ધ્વારા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે. તથ્ય ફાઉન્ડેશન દ્વારા 'હર ઘર પેડ' કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામા આવશે. 4 દિવસીય વર્કશોપમાં હાજર રહેનાર બાળકોને સહયોગી મિત્રો ધ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કાર્યક્રમનું સંચાલન કરનાર કિરણભાઈ સોલંકીએ શાળા સાથે જોડાઈને પ્રવૃત્તિઓમાં સહયોગી થવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.  

      સમર વેકેશન વર્કશોપના અંતિમ દિવસે સમાપન સમારોહમાં જેમાં રોટરી કલબ, બોરસદ સન સીટીના પ્રમુખ શૈલેષગીરી ગોસ્વામી, હેમંતભાઈ મહિડા, સી.આર.સી.સી. અનિલભાઈ રાણા, કરાટે એક્સપર્ટ પૃથ્વીરાજ, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા 75 થી વધુ બાળકો અને શાળાના શિક્ષકોએ હાજરી આપી હતી. વિશ્વ પર્યાવરણ દિવસે બાળકોમાં મા પ્રેમ, આદર અને સન્માનના પ્રતીક સ્વરૂપે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા હેતુ 'એક પેડ માં કે નામ' તથા ઓપરેશન સિંદૂરની યાદમાં તથ્ય ફાઉન્ડેશન, આણંદ અને રોટરી ક્લબ બોરસદ (સન સીટી)ના સંયુક્ત ઉપક્રમે એક્તાનગર શાળામાં 21 સિંદૂરના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. લોકસાહિત્યકાર ભરતદાન ગઢવીએ બાળકો પાસે ગીતોનું ગાન કરાવ્યુ હતું. ભાવેશભાઈ ગઢવીએ બાળગીતો ગવડાવ્યા હતા.


       ચરોતર ક્રોસેટ ગ્રીન્સ ગ્રુપના સભ્યો દ્વારા બાળકોને ક્રોસેટના ઉપયોગ દ્વારા વિવિધ વસ્તુઓ બનાવતા શીખવવામાં આવી. જેમાં ગ્રીનીચ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર કોમલબેન પટેલ જેઓ યોગ કોચ તરીકે પણ કામગીરી કરી રહ્યા છે તેઓએ તથા તેમની ટીમ દ્વારા શાળાની દીકરીઓ અને દીકરાઓને ઊનનો ઉપયોગ કરીને રાખડી, માળા, માથામાં નાખવાની પીન તથા અવનવી વસ્તુઓ બનાવતા શીખવવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન શાળાના મુખ્યશિક્ષક ભાનુપ્રસાદ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોને આગામી 21 મી જૂન વિશ્વ યોગ દિવસની તૈયારીના ભાગરૂપે યૌગિક ક્રિયાઓ પણ શીખવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં બાળકોને અને શાળા પરિવાર ને ખૂબ મજા આવી હતી.


શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભારતીય ભાષા શીખવા માટે પ્રોત્સાહિત કરવા તથા સાંસ્કૃતિક એકતાનો અનુભવ કરાવવા ભારતીય ભાષા સમર કેમ્પનું આયોજન કરાયું. જેમાં  

        4 દિવસીય વર્કશોપના સમાપનમાં હાજર સૌ મહેમાનોનું બાળકોના હસ્તે સ્વાગત કરાયું હતું. મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે સૌને શબ્દોથી આવકારી વર્કશોપ દરમ્યાન થયેલ પ્રવૃત્તિઓ તથા શાળાકીય પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. વિવિધ એક્સપર્ટ ધ્વારા યોગ, સ્કેટિંગ, કરાટે જેવી પ્રવૃતિઓ બાળકોને નિઃશુલ્ક શીખવવામાં આવી હતી. રોટરી કલબ, બોરસદ સન સીટી ધ્વારા વર્કશોપમાં ભાગ લેનાર 75 બાળકોને પ્રમાણપત્રો તથા એક્સપર્ટને મોમેન્ટોથી સન્માન કરાયું હતું. સહયોગી મિત્રો દ્વારા બાળકોને નાસ્તાની વ્યવસ્થા પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ કિરણભાઈ સોલંકીએ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળા પરિવાર, એસ.એમ.સી. તથા મ.ભો.સ્ટાફનો પૂરતો સહયોગ મળ્યો હતો.     






Wednesday, 12 March 2025

વાર્ષિકોત્સવ ઉજવણી, સાર્વજનિક પુસ્તકાલયની શરૂઆત તથા ‘ધબકાર’ ઈ મેગેઝીનના 100 મા અંકનું બાલાર્પણ

  વાર્ષિકોત્સવ ઉજવણી તથા સાર્વજનિક પુસ્તકાલયની શરૂઆત

ધબકાર ઈ મેગેઝીનના 100 મા અંકનું બાલાર્પણ 

 

શાળામાં વર્ષ દરમિયાન થતી પ્રવૃત્તિઓની વાલીઓને જાણ થાય અને બાળકોમાં ઉત્સાહ વધે તે હેતુથી એકતાનગર શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણીની સાથે સાર્વજનિક પુસ્તકાલયની શરૂઆત, ધબકાર ઈ મેગેઝીનના 100 મા અંકનું બાલાર્પણ કરવામાં આવ્યું. 

 

આ પ્રસંગે જિ. શિ. સમિતિના ચેરમેન સુનીલભાઈ સોલંકી, સામાજિક કાર્યકર મનીષાબેન સોલંકી, કૂક મમતાબેન શાહ, દૂધડેરીના ચેરમેન પિયૂષભાઈ પટેલ,   હરમાનજીભાઈ ઠાકોરગ્રામઅગ્રણી સાલીમમિયાં કાજીબીટ નિરીક્ષક જિગરભાઈ,  સી.આર.સી.સી. અનિલભાઈ રાણા, દાતા આશીકમીયાં કાજી, પત્રકાર સાજીદ સૈયદ તથા એસ.એમ.સી. અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભ્યો અને વાલીઓએ હાજરી આપી હતી.

 

મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. હાજર મહેમાનોના હસ્તે ધબકાર ઈ મેગેઝીનના 100 મા અંકનું બાલાર્પણ કરાયું હતું તથા સાર્વજનિક પુસ્તકાલયની પણ શરૂઆત કરવામાં આવી હતી. શાબ્દિક સ્વાગત બાદ વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓની અહેવાલ મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે રજૂ કર્યો હતો. 

  

શાળાના ધો. 1 થી 8 ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જિ.શિ. સમિતિના ચેરમેન સુનીલભાઈ સોલંકી તથા દાતાઓશ્રીનું શાલ અને બુકે ધ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સુનીલભાઈ સોલંકીએ બાળકોને પોતાના વાલીઓને વ્યસનોથી દૂર કરવા અનુરોધ કર્યો હતો. મનીષાબેન તથા અનિલભાઈ રાણાએ શાળા અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. પિયુષભાઈ, મનીષાબેન તથા મમતાબેન તરફથી શાળાના બાળકોને 
ઇનામો પણ અપાયા હતા.  

  

વર્ષ દરમ્યાન શાળાકીય રમતોત્સવ તથા વિવિધ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને શાળા તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. 
 

ધો. 1 થી 8 માં પ્રથમ ક્રમ મેળવનાર, નિલેષ તળપદા તથા કૃપા ઠાકોરને સ્ટુડન્ટ ઓફ ધ યર’, જેરુષાબેન જાદવને Best Teacher માટે બાલગોવિંદદાસ પટેલ પરિવાર, નાપા તરફથી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. શાળાના શિક્ષકો ધ્વારા તિથિભોજન આપવામાં આવ્યું હતું. 

 

કાર્યક્રમનું સંચાલન રાજવીર, ઉર્વર્શી અને કિરણભાઈ સોલંકીએ કર્યું હતું. 

 
શાળાના સમગ્ર સ્ટાફ અને એસ.એમ.સી. સભ્યોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.  
 

Sunday, 10 March 2024

વાર્ષિકોત્સવ 2023-24

એકતાનગર પ્રા. શાળામાં વાર્ષિકોત્સવ, સરસ્વતી મંદિર સ્થાપના, 

બાલવાર્તા પુસ્તક વિમોચન, વિશ્વ મહિલા દિન ઉજવણી

વર્ષ દરમિયાન થતા શાળાકીય કાર્યક્રમોમાં બાળકો સહભાગી બને તથા તેમને તેમના કાર્યોને પ્રોત્સાહન મળે તે હેતુથી એકતાનગર શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. સાથે સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી, સરસ્વતી મંદિર સ્થાપના પૂજન તથા બાળવાર્તા પુસ્તક પતંગિયાંની પાંખેનું વિમોચન કરવામાં આવ્યું. 

 

જાણીતા સાહિત્યકાર ભગીરથ બ્રહ્મભટ્ટ, જિ.પં. સદસ્ય સાજીદભાઈ રાણા, પિયુષભાઈ પટેલ, ડૉ.રમણ માધવ, મનીષાબેન સોલંકી, પૂર્વ તા.પં.સદસ્ય ઈરફાનમીયાં કાજી, સાલીમમીયાં કાજી, અનિલભાઈ રાણા, એસ.એમ.સી. ઉપાધ્યક્ષ નવઘણભાઈ તળપદા, આર્ટિસ્ટ આશિષ સુથારે તથા ગ્રામજનો, એસ.એમ.સી. સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શાળાની દીકરીઓ ધ્વારા મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.  શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે સૌને શબ્દોથી આવકાર્યા હતા. જાણીતા સાહિત્યકાર ભગીરથ બ્રહ્મભટ્ટ તથા અન્ય મહેમાનોના હસ્તે બાળવાર્તા પુસ્તક પતંગિયાં પાંખે'નું વિમોચન કરવામાં આવ્યું હતું. 


 

પોતાના વક્તવ્યમાં બાળકોના વાર્તા લેખનને બિરદાવી શાળાના પ્રયાસને આવકાર્યો હતો. શાળા ધ્વારા બાળવાર્તા લેખકોનું ઈનામો આપી સન્માન કરાયું હતું. સી.આર.સી.નાપા કન્યા અને બી.આર.સી. બોરસદ માં વાર્તા લેખનમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર બાળકોનું ઈનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બાળવાર્તા લખનાર શિક્ષકોને બિરદાવવામાં આવ્યા હતા.

જાણીતા સાહિત્યકાર ભગીરથ બ્રહ્મભટ્ટ ધ્વારા સરસ્વતી મંદિરના સ્થાપના પૂજનવિધિ કરવામાં આવી હતી. બાલવાર્તા પુસ્તક પતંગિયાંની પાંખે માં મુખપૃષ્ઠ ચિત્ર અને વાર્તા ચિત્રો દોરનાર આશિષભાઈ સુથાર તથા ભગીરથ બ્રહ્મભટ્ટનું શાળા ધ્વારા મોમેન્ટો આપી અભિવાદન કરાયું હતું. વર્ષ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા બનેલા 50 થી વધુ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

 

દર વર્ષે આપવામાં આવતા Student of the Year બહુમાન માટે વિદ્યાર્થીઓમાં હજરતઅલી સૈયદ અને વિદ્યાર્થિનીઓમાં ભૂમિકાબેન રોહિતની પસંદગી થતાં મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. વર્ષ દરમ્યાન શૈક્ષણિક કાર્યમાં ઉત્તમ કારી બદલ વૈશાલીબેન વાઘેલાને મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું. 

સામાજિક કાર્યકર મનીષાબેન સોલંકીના આર્થિક સહયોગથી ધો.1 થી 8 માં પ્રથમ ક્રમે આવનાર દરેક વર્ગના બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાની દીકરીએ વિશ્વ મહિલા દિન વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ધો. 1 થી 8 ના બાળકો ધ્વારા નાટક, ગીત, સંવાદ અને ડાન્સ જેવા વિવિધ મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. 

મહેમાનો અને વાલીઓએ બાળકોના વિવિધતાસભર કાર્યક્રમોને બિરદાવી ઈનામો પણ આપ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મેજબીનબાનુ તથા શિક્ષક કિરણભાઈ સોલંકીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ શિક્ષક કનુભાઈ રબારીએ કરી હતી. એસ.એમ.સી તથા શાળાના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો.

 
.......................................................................